
જામનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ સપડેશ્વર ગણપતિજીના મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની વિશાળ કતારો જોવા મળી હતી.
પવિત્ર તહેવારને પગલે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો હતો. દુર-સુદુરથી પધારેલા ભક્તોએ મંગળા આરતીના પાવન દર્શન કરી ભગવાન શ્રી ગણેશજીની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી તથા પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ અને ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
આ પાવન અવસરે અનેક શ્રદ્ધાળુઓએ જામનગરથી સપડા સુધીની આશરે 27 કિલોમીટરની કઠિન પદયાત્રા કરીને પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરી હતી. કાપેલા આ પદયાત્રિકોએ ભગવાન સપડેશ્વર ગણપતિજીના દર્શન કરીને ચરણોમાં શીશ નમાવ્યું હતું.
દિવસ દરમિયાન સતત વહેતા શ્રદ્ધાળુઓના પ્રવાહથી આખું મંદિર પરિસર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી જયઘોષથી સતત ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt