

- સર્વ સમાજની એકતા સાથે ત્રણ દિવસ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)
ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં સતત ત્રીજા વર્ષે ભક્તિભાવ અને ઉત્સાહના માહોલ વચ્ચે ‘સનાતન ચા રાજા’ની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના પ્રસંગે સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
‘સનાતન ચા રાજા’ના ત્રણ દિવસીય આયોજન દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદનો ગરબો, હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરી રહ્યા છે.
આ આયોજનની વિશેષતા એ છે કે ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. મૂર્તિ તેમજ વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા લોકોને વૃક્ષોનું જતન, પર્યાવરણનું રક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક ઉત્સવને સામાજિક જવાબદારી સાથે જોડવાનો આ પ્રયાસ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવ્યું હતું કે, ‘સનાતન ચા રાજા’ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સેવા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે.
સર્વ સમાજની સહભાગિતા સાથે યોજાઈ રહેલા આ ત્રણ દિવસીય આયોજનથી વાવોલ વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ