
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રસ્તા અને ફૂટપાથ પર જીવન પસાર કરતા બાળકોને એક દિવસ માટે ખાસ અનુભવ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત બાળકોના હેરકટ અને ગ્રૂમિંગથી થઈ, ત્યારબાદ તેમને લક્ઝરી કારમાં શોરૂમ લઈ જઈ પોતાની પસંદગીના કપડાં અને શૂઝ અપાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાળકોને ફાઉન્ડેશનની ઓફિસ ખાતે ગણપતિ આરતીમાં સામેલ કરવામાં આવ્યા હતા અને પિયુષભાઈ દેસાઈ સાથે ભોજન કરાવવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન બાળકોને થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવી હતી અને બાદમાં કેફેમાં પાર્ટીનું પણ આયોજન કરાયું હતું. ફાઉન્ડેશનના આ પ્રયાસથી બાળકોને રોજિંદા સંઘર્ષથી અલગ એક યાદગાર દિવસનો અનુભવ મળ્યો હતો.
PM મોદીના 76મા જન્મદિવસને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા 76 જરૂરિયાતમંદ પરિવારોને પણ આર્થિક સહાય આપવામાં આવી હતી. દરેક પરિવારને ₹25 હજારની મદદ કરવામાં આવી છે. સંસ્થા અનુસાર, આ રકમનો હેતુ પરિવારોને નાનો વ્યવસાય અથવા સ્વરોજગાર શરૂ કરવામાં મદદ કરી તેમને આત્મનિર્ભર બનવાની તક આપવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે