
- સેવા સંકલ્પ અભિયાનના એક મહિનાના સેવાકીય કાર્યોમાં સહભાગી બનીને વડાપ્રધાનના રાષ્ટ્ર વિકાસના સંકલ્પોમાં નાગરિક તરીકે યોગદાન આપીએ: ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા
જૂનાગઢ 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન સેવાના 25 વર્ષ અને જન્મદિન નિમિત્તે જુનાગઢ ના એબીપીએસ મંદિર ખાતે મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવોએ દીવો પ્રગટાવી વડાપ્રધાન ની જનસેવા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
જૂનાગઢની અક્ષરવાડી ખાતે પટાંગણમાં મોટી સંખ્યામાં લોકોએ જ્યોત પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે આભાર ની લાગણી સાથે વડાપ્રધાન રાષ્ટ્રની સેવા કરતા રહે, તેવી શુભકામના પાઠવી હતી.
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની જન સેવાને 25 વર્ષ નિમિત્તે એક મહિના સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાનમાં વિવિધ સેવાકીય કાર્યોમાં જોડાવા સંસ્થાઓ નાગરિકો અને સૌ કોઈને અનુરોધ કર્યો હતો.
તેઓએ કહ્યું કે દેશના દરેક નાગરિકને વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે વડાપ્રધાન એ છેલ્લા 12 વર્ષ દરમિયાન અનેક યોજનાઓ અમલમાં મૂકી છે .ભારતનું ગૌરવ વધે અને વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે વડાપ્રધાનના દરેક સંકલ્પમાં આપણે યોગદાન આપીએ તેવો અનુરોધ કર્યો તેમણે વિવિધ સંસ્થાઓ અને સૌ કોઈને સ્વચ્છતા સહિતના એક મહિના સુધી ચાલનારા વિવિધ સેવાકીય કાર્યોમાં યોગદાન આપવા જણાવ્યું હતું.
અક્ષર મંદિરના કોઠારી સ્વામી ધર્મ વિનયદાસજી સ્વામી એ વડાપ્રધાન દેશને હજુ નવી ઊંચાઈ સુધી લઈ જાય તેવા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવો અને નાગરિકો ભગવાન સ્વામિનારાયણની આરતી માં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર યોગેશ ચૌધરી, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડીડીઓ જયંતસિંહ રાઠોર, મ્યુ. કમિશ્નર વાળા, સહિતના અધિકારીઓ અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ