





પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સુદામાનગરી પોરબંદરમાં પાંચ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયેલા ગણેશોત્સવનું આજે મૂર્તિ વિસર્જન સાથે સમાપન થયું હતું. ગણેશ ચતુર્થીના દિવસે શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ દુંદાળા દેવની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગણેશજીનું પૂજન-અર્ચન કરી લાડુ સહિતના પ્રસાદનો ભોગ ધરાવ્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની અલગ-અલગ મુદ્રા અને આકર્ષક સ્વરૂપની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. ગણેશોત્સવ દરમિયાન પંડાલોમાં દરરોજ આરતી, પૂજન, પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અનેક સ્થળોએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
*વિસર્જન યાત્રામાં ભક્તિ સાથે ઉત્સાહનો માહોલ*
પાંચમા દિવસે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રાઓ નીકળી હતી. ગણેશજીની મૂર્તિને વાહનોમાં શણગાર કરીને ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા.શહેરના માર્ગો પર ગજાનનની સવારી નીકળતાં સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું.ઢોલ-નગારાં, બેન્ડવાજા અને ડીજેના તાલે યુવાનો સહિત ભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા દરમિયાન અબીલ-ગુલાલની છોળો ઉડતી જોવા મળી હતી. 'ગણપતિ બાપ્પા મોરિયા' અને “અગલે બરસ તું જલ્દી આના'ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
*અસ્માવતી ઘાટ ખાતે મૂર્તિઓનું વિસર્જન*
ગણેશજીની મૂર્તિઓને શહેરના માર્ગો પરથી શોભાયાત્રા સ્વરૂપે અસ્માવતી ઘાટ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ભક્તોએ ભારે શ્રદ્ધા અને આસ્થાભેર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. વિસર્જન સમયે ભક્તોએ બાપ્પાને આવતા વર્ષે ફરીથી પધારવા માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના પાંચ દિવસ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ રહ્યો હતો. અંતિમ દિવસે વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાને વિદાય આપતી વેળાએ ભક્તોએ “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના'ના નાદ સાથે ભાવભીની વિદાય આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya