ગાંધીનગર,27 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના દેશી, ફળાઉ પરાગનયનમાં ઉપયોગી એવા છોડનું (જાપાનની મિયાવાકી પદ્ધતિ, ઓક્સીજન પાર્ક, અર્બન ફોરેસ્ટ) અંતર્ગત વનીકરણ કરવામાં આવે છે. આમ વૃક્ષારોપણ થકી શહેરી વિસ્તારમાં એક અનેરૂ જૈવ- વિવિધતા તંત્ર વિકસિત થાય છે અને આવા વિસ્તારો આપણી જૈવ વિવિધતાનાં આધાર અને વિકાસનું માધ્યમ બને છે જે હેતુને પરિપૂર્ણ કરવા સારું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ વિસ્તારમાં જનભાગીદારીથી વૃક્ષારોપણ થાય તે માટે વિવિધ સંસ્થાઓને આમંત્રિત કરવાની પહેલ હાથ ધરી હતી અને તેમણે પણ આ ભગીરથ કાર્યને સક્રિયતાપૂર્વક ટી.પી. 19 રાયસણ ખાતે કુલ 7153 ચો.મી. વિસ્તારમાં મિયાવાકી પધ્ધતિથી કુલ 19500 રોપાનાં વાવેતરની કામગીરી પૂર્ણ કરેલ હતી. આ પ્રકારના વનીકરણમાં આપણી દેશી પ્રજાતિના રોપા જેવા કે પીપળો, લીમડો, ઉમરો, વડ, જાંબુ, આંબળા, બોગરવેલ, જાસુદ, બારમાસી અને મોગરા જેવા વિવિધ ઝાડ તથા ફૂલછોડનો ઉપયોગ કરવામાં આવે છે. જે વૃક્ષારોપણની ઉચિત તકેદારી અને નિભાવણીનાં કારણે મહત્તમ વિકાસ અને ઉછેર દ્વારા એક સફળ મિયાવાકી વનીકરણ જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ