પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.): દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી બાદ વિક્રમ સંવત 2082નું નૂતન વર્ષ હર્ષોઉલ્લાસભેર શરૂ થયું. ગુજરાતીઓએ પરંપરાગત રીતે વડીલોના આશીર્વાદ લઈ અને દેવ દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. જિલ્લાના નાના-મોટા તમામ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.
પાટણ શહેર તેમજ જિલ્લાના મુખ્ય મંદિરો જેમ કે લક્ષ્મી મંદિર, રામજી મંદિર અને વૈષ્ણવ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. સૌએ નવા વર્ષ મંગલમય અને સુખમય નીવડે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર શહેરમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો.
દીપાવલીના પાંચ દિવસીય તહેવારના અંતિમ દિવસે — ભાઈબીજના પવિત્ર અવસરે — પાટણ નજીકના અનાવડા ગામે આવેલ રામાપીર મંદિરમાં ભવ્ય અન્નકૂટનું આયોજન થયું. ભગવાન રામાપીર સન્મુખ ભરાયેલા આ અન્નકૂટના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો અને સમગ્ર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ