મહેસાણા, 23 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક બેસતા વર્ષના દિવસે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માહિતી મુજબ, વડાલી તાલુકાના મહોર ગામના ત્રણ યુવકો — કિરણજી, સુમિતજી અને સાહિલજી ઠાકોર — બેસતું વર્ષ હોવાથી શેભર ગોગા મહારાજના દર્શન કરવા ગયા હતા.
દર્શન કરી પરત આવતી વેળાએ કોદરામથી ચાણસોલ વચ્ચે એક વેગેનર કારએ તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણે યુવકો રોડ પર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તથા સ્થાનિક લોકોએ ત્રણેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુમિતજીને ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું, જ્યારે કિરણજી અને સાહિલજીને ફ્રેક્ચર તથા અન્ય ઈજાઓ થઈ છે. બેસતું વર્ષ જે આનંદ અને ઉજવણીનો દિવસ માનવામાં આવે છે, તે અકસ્માત બાદ શોકમાં ફેરવાઈ ગયો હતો. ખેરાલુ પોલીસ દ્વારા અકસ્માત અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR