મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણામાં બંગાળી ફ્રેન્ડ્સ એસોસિએશન દશેરાના દિવસે મનાવતા સિંદૂરખેલા ઉત્સવમાં મહિલાઓ લાલ-સફેદ સાડી પહેરીને માતાજીની આરતી કરે છે, પ્રસાદ અર્પણ કરે છે અને એકબીજાને સિંદૂર લગાવી શુભેચ્છાઓ પાઠવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક જ નહીં, પણ ભાવનાત્મક મહત્વની પણ માનવામાં આવે છે. લોકો માને છે કે આ રીતથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય અખંડ રહે છે. વિસર્જન પૂર્વે મૂર્તિ સામે આરિસો મુકવામાં આવે છે, જેમાં માતાના ચરણોના દર્શન થાય છે, જેથી માતાજીના આશીર્વાદ સાથે પરિવારને સુખ મળે.
દુર્ગા પૂજાની વિધિઓ પાંચમથી દશમી સુધી ચાલે છે, જેમાં પંડાલમાં આરતી, ભક્તિગીતો, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. દશમીના દિવસે ઉજાતું સિંદૂરખેલા એ સમગ્ર ઉત્સવનું હ્રદય ગણાય છે, જ્યાં લગ્ન કરેલી સ્ત્રીઓ માતાજીને પૂજ્યા બાદ સિંદૂર ધારણ કરે છે અને બહેનો એકબીજાને સિંદૂર લગાવી ઉત્સવની મજા માણે છે. મહેસાણામાં આ તહેવારમાં બંગાળી સમાજ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાઈ ઉત્સવને જુસ્સો અને ભક્તિ સાથે માણે છે. સિંદૂરખેલા માત્ર રંગ-રમૂજનો તહેવાર નથી, પરંતુ શ્રદ્ધા, પરંપરા અને ભાવનાનું જીવંત પ્રતિક છે, જે ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ ભરી દે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR