
પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ઘઉંનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ ઊભા પાકમાં જીવાતના ઉપદ્રવથી બચવા અને ઉત્પાદન વધારવા માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવાની જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.
ઊભાં ઘઉંમાં મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (કાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ 25 ડબલ્યુજી 3 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક 5% (500 ગ્રામ/10લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા 10 મિ.લિ. (૫ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. 1.6 લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ 20 ઈસી 1.5લિટર દવા 100 કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.
ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. અને ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ 0.4ટકા ભૂકી હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી ,ખેતી અધિકારી,તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ),નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.(માહિતી સંદર્ભ: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી)
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya