
પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરની ચોપાટી પર ફરવા આવેલા બહારના પ્રવાસીની કાર કનકાઇ મંદિર પાસે પાર્ક કરેલી હતી, ત્યારે એક ઇસમે રાત્રિના સમયે ધોકા વડે તેનો કાચ ફોડી નાખ્યો હતો. જો કે પોલીસ કેસમાં પડવુ નહી હોવાથી ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોરબંદર પોલીસે સી.સી.ટી.વી.ફૂટેજના માધ્યમથી તપાસ કરવી જોઇએ તેવી લાગણી વ્યકત થઇ છે.
બનાવની વિગત એવી છે કે તા.16-12ના રાત્રે દશેક વાગ્યાના સુમારે પોરબંદરની ચોપાટી ખાતે બહારથી કોઇ પ્રવાસીઓ ફરવા આવ્યા હતા અને તેમની કાર કનકાઇ મંદિર નજીક ગાંધી સ્મૃતિ ભવન સામે પાર્ક કરી હતી. અચાનક જ એક ઇસમ ધોકો લઇને આવ્યો હતો અને કારનો કાચ ફોડી નાખતા લોકો એકત્ર થઇ ગયા હતા. બહારથી આવેલા પ્રવાસીને પોલીસની ફરિયાદ કે કાનુની કાર્યવાહીમાં પડવુ નહી હોવાથી ગુન્હો નોંધાવ્યો ન હતો, પરંતુ મહત્વની બાબત એ છે કે એકબાજુ નેતાઓ પોરબંદરની છબી સુધારવાની વાત કરે છે અને પોલીસને તે અંગે છૂટો દોર આપે છે ત્યારે પોરબંદર પોલીસે એ સમયના નેત્રમના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરીને જે કોઇ જવાબદાર ઇસમ હોય તેની સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી લાગણી વ્યકત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya