
ભાવનગર,22 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો,વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરનાર લોકો પાયલટો નિર્ધારિત ગતિનું પાલન કરતાં વિશેષ સતર્કતા સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ભાવનગર મંડળના લોકો પાયલટોની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોના સંકલનથી ગયા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોની જાન બચાવી લેવામાં આવી છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધી 81 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
21 ડિસેમ્બરના રોજ લોકો પાયલટ અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાન હુસૈને સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર કિમી નં. 112/7–112/6 વચ્ચે રેલવે ટ્રેક પર 06 સિંહોને જોયા. ત્યારબાદ તેમણે ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી સુરક્ષિત રીતે રોકી દીધી.
લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમારને તાત્કાલિક જાણ કરવામાં આવી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ દ્વારા તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી હટાવવામાં આવ્યા. સ્થિતિ સામાન્ય જણાતા લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની પરવાનગી આપવામાં આવી, ત્યારબાદ ટ્રેનને સાવધાનીપૂર્વક ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ