
સોમનાથ,22 ડિસેમ્બર (હિ.સ.) સશક્ત નારી મેળાની મુલાકાતે પધારેલા સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદીએ આ મેળા અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સશક્ત નારી મેળો વાસ્તવમાં નારીને સબળ અને સશક્ત બનાવવા માટે ઉપયુક્ત બની રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના મેળા ગ્રામીણ અને છેવાડાના સ્તરથી આવતી મહિલાઓને પોતાની કલાકારી કલા અને કસબ બતાવવા સાથે નાની-નાની વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનું મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર ભારત' બનાવવાની જે સંકલ્પના વ્યક્ત કરી હતી. તેને આ મેળો વાસ્તવમાં સાકાર કરી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પોતાના ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે આ મેળાના માધ્યમથી જે સુવિધા ઉભી કરવામાં આવી છે. તેનો લાભ મેળવીને મહિલાઓએ આગળ આવવું જોઈએ.
આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે, ત્યારે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે પણ તે આગળ આવે તે સમયની માંગ છે. 21 થી 23 ડિસેમ્બર સુધી યોજાનાર મેળામાં વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાની જનતા મોટા પ્રમાણમાં આવે અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત આ વસ્તુઓ ખરીદીને તેમને બળ પૂરું પાડે તે માટેનો અનુરોધ તેમણે વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ