
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે આવેલ આમ આદમી પાર્ટી અમરેલી મધ્યસ્થ કાર્યાલયમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની આવનારી ચુંટણીઓને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આપના ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હોદેદારો, તાલુકા અને શહેર સ્તરના કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મનોજભાઈ સોરઠીયાએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ ચુંટણી એ લોકતંત્રનું મૂળ છે અને તેમાં કાર્યકરોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે સંગઠન મજબૂત કરવાની સાથે બૂથ લેવલ સુધી પહોંચવાની રણનીતિ પર ભાર મૂક્યો હતો. લોકોના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓને આધારે જનતા સુધી પહોંચવાની અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં ચુંટણીલક્ષી આયોજન, ઉમેદવાર પસંદગી, પ્રચારની પદ્ધતિ, તેમજ જનસંપર્ક વધારવા માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. કાર્યકરોએ પણ પોતાના વિસ્તારના સૂચનો અને અનુભવો રજૂ કર્યા હતા. સમગ્ર બેઠક ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ હતી અને આવનારી સ્થાનિક સ્વરાજ ચુંટણીઓમાં મજબૂત તૈયારી સાથે મેદાને ઉતરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai