
અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાનામોટા ગોખરવાળાગામે એક ખેડૂતે દાખવેલી માનવતાભરી ઉદારતાએ સમગ્ર વિસ્તારમાં પ્રશંસા જગાવી છે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય સરકાર તરફથી મળેલી સહાયમાંથી ખેડૂત પ્રવિણસિંહ ઝાલાએ પોતાનો અડધો ભાગ પોતાની જમીન પર ખેતી કરતા ભાગિયાને આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું કે ખેતીમાં નુકસાન માત્ર જમીન માલિકને નહીં, પરંતુ ભાગિયાને પણ સહન કરવું પડે છે. આવા સમયમાં સહાયનો લાભ બંને સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે સરકારથી મળેલી સહાયનો 50 ટકા હિસ્સો પોતાના ભાગિયાને સોંપી તેને આર્થિક સંબળ આપ્યું. આ પગલાંથી ભાગિયાના પરિવારને મોટી રાહત મળી છે.
ગામના લોકોએ જણાવ્યું કે, પ્રવિણસિંહ ઝાલાનું આ કાર્ય માત્ર દાન નથી, પરંતુ ખેડૂત-ભાગિયા વચ્ચેના વિશ્વાસ અને સહકારનું જીવંત ઉદાહરણ છે. તેમણે અન્ય ખેડૂતોને પણ અપીલ કરી કે સહાય મળ્યે પોતાના ભાગિયાંની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તેમને સહાયના ભાગીદાર બનાવવામાં આવે.
મોટા ગોખરવાળા ગામે ખેડૂતની આ ઉદારતા આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને સમાજ માટે પ્રેરણા પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai