
જુનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ સામે એલ.સી.બી. પોલીસ સ્ટેશનથી જોશીપરા ફાટક તરફ જતા રસ્તા પર રેલવે ઓવરબ્રિજની કામગીરીનું ફાઉન્ડેશન વર્ક કરવાનું થતું હોવાથી, આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી ન જોખમાય તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ રોડનો વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશન તેજસ પરમારે ગુજરાત પ્રોવિન્સીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ની કલમ-૨૩૬(૧) થી મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને એલ.સી.બી. ઓફીસથી જોષીપરા ફાટક, એલ.સી.નં.૮૧/બીના રોડ પર અવર-જવર માટે બંધ જાહેર કર્યો છે.
વૈકલ્પીક રૂટ મુજબ ગાંધીચોકથી એલ.સી.બી. ઓફીસથી, જોષીપરા ફાટક તરફ જતા- ગાંધીચોકથી બસસ્ટેન્ડ સર્કલ થઈને બસસ્ટેન્ડ ફાટક તરફનો રોડનો ઉપયોગ કરી શકાશે, રેલવે સ્ટેશનથી એલ.સી.બી. ઓફીસથી જોષીપરા ફાટક તરફ જતા- રેલવે સ્ટેશનથી ઈન્દ્રલોક હોટલની સામેના અન્ડરબ્રિજથી અગ્રાવત ચોક તરફના રોડનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત ગંધારી વાડી, સરદારપરા તરફથી જોષીપરા ફાટક તરફ જતા- જોષીપરા ફાટકથી બસસ્ટેન્ડ ફાટક થઈને અથવા સરદારપરા મેઈન રોડથી અગ્રાવત ચોકથી અન્ડરબ્રિજથી ઈન્દ્રલોક હોટલ તરફના રોડનો ઉપયોગ કરી શકશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પર જી.પી.એમ.સી.એકટ, ૧૯૪૯ ની કલમ નં.૩૯૨ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૦૬/૦૨/૨૦૨૬ના રાત્રીના ૧૧.૫૫ કલાક સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ