
સુરત, 27 ડિસેમ્બર (હિ.સ.) : સુરતમાં આજે પોલીસ વિભાગ માટે અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હજીરા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા PSO સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક અવસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ તેમને સંભવિત હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે.
ફરજ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા તેઓ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ મથકમાં હાજર સાથી કર્મચારીઓ તરત જ તેમની મદદે દોડી આવ્યા હતા અને કોઈ પણ વિલંબ કર્યા વિના તેમને પોલીસ વાહન મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચતા જ તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણની સત્તાવાર પુષ્ટિ થશે.
ચાલુ ફરજ દરમિયાન એક નિષ્ઠાવાન પોલીસ જવાન ગુમાવવાના કારણે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારજનોમાં પણ ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે