
જૂનાગઢ, 29 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માળીયા, વંથલી, માણાવદર તાલુકાના અંદાજીત 300 થી વધુ પશુપાલકોએ આ શિબીરમાં ભાગ લીધો હતો.
આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે પશુપાલકોને વૈજ્ઞાનીક ઢબે પશુપાલન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સ્વેત ક્રાંતી થકી આર્થિક સમૃધ્ધિ તરફ આગળ વધાવા તેમજ સાથે જ ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે આ શિબિરના આયોજન માટે જિલ્લાની પશુપાલન ટીમને અભિનંદન આપ્યાં હતા.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ પશુપાલકોને નવી ટેકનોલોજી અપનાવવા અને સરકારની યોજનાનો લાભ લેવા પશુપાલકોને અપીલ કરી હતી.
આ શિબિરમાં પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભ પશુપસંદગી, પશુઆરોગ્ય, પશુપોષણ અને પશુસંવર્ધન વિશે વિગતવાર માર્ગદર્શન નાયબ પશુપાલન નિયામક ડો. ડી. ડી.પાનેરા અને ડો.એ.પી.ગજેરા દ્વારા આપવામાં આવ્યુ હતું. ઉપરાંત પશુપાલનને લગત પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરના સફળ આયોજન માટે ડૉ.કપીલ ગજેરા અને મેંદરડા પશુપાલન ટીમે ખાસ જહેમત ઉઠવી હતી
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ