
નવસારી, 30 ડિસેમ્બર (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નવસારી દ્વારા આગામી નવા વર્ષની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરા સાથે કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ *‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’*નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળાનુકરણથી યુવા પેઢીને બચાવી, વ્યસનમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વાળવાનો છે. 31મી ડિસેમ્બરની રાત્રે થતી અનાચારસભર પ્રવૃત્તિઓથી દૂર રહી, નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણનું સ્વાગત સૂર્ય નમસ્કાર દ્વારા કરવામાં આવશે.
તારીખ 1 જાન્યુઆરી 2026, ગુરુવારના સવારે 7:00 થી 8:00 કલાકે સમગ્ર રાજ્યમાં ઓનલાઇન (YouTube LIVE - Gujarat State Yog Board)ના માધ્યમથી ધ્યાન યોજાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વમાં અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘સ્વસ્થ ગુજરાત’ના વિઝનને સાકાર કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને યુવા પેઢીને યોગ તરફ વાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
સૂર્ય નમસ્કાર એ યોગનું એક સર્વગ્રાહી આસન છે, જેના અનેકવિધ ફાયદા છે. જેનાથી વજન અને પેટની ચરબી ઘટાડે છે, પાચનતંત્ર અને સ્નાયુઓ મજબૂત કરે છે. ઉપરાંત તણાવ, ચિંતા અને અજંપો ઘટાડી એકાગ્રતા અને સ્મરણશક્તિ વધારે છે. તેમજ પ્રાણશક્તિમાં વધારો કરે છે અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે.
રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ: આ કાર્યક્રમમાં જોડાવા માટે નવસારી જિલ્લાના નાગરિકો નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરી શકે છે. સૂર્ય નમસ્કાર કરનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન લિંક: https://suryanamaskar.gsyb.in
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે