
વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા પશ્ચિમ વિભાગમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરને બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલની પ્રેરણા અને વડોદરા પશ્ચિમ ઝોનના ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ તથા જિલ્લા કોર્ડિનેટર ડૉ.મીનાક્ષી પરમારનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
શિબિરનું આયોજન સુભાનપુરા ખાતે આવેલ વેરાઈ માતા મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન વડોદરા પશ્ચિમ વિભાગના યોગ ટ્રેનરોને યોગના વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી તેમજ વ્યવહારિક પાસાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિર દરમ્યાન યોગના સિદ્ધાંતો,યોગાસનની રીત તથા તકનીક,માનસિક આરોગ્ય અને યોગ,એક્યુપ્રેશર,પંચકોષ,સાત ચક્રો,અષ્ટાંગ યોગ,મુદ્રા વિજ્ઞાન,ષટ્કર્મ જેવા વિષયો પર અનુભવી યોગાચાર્યો અને યોગ કોચ દ્વારા સરળ અને સમજાય તેવી રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ શિબિરનું મુખ્ય ધ્યેય દરેક યોગ શિક્ષકને યોગનું ઊંડું અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય,અને તે જ્ઞાન દ્વારા યોગને ઘર ઘર સુધી પહોંચાડી,સમાજને સ્વસ્થ, નિરોગી અને સુખી જીવન તરફ દોરી શકાય એમ હતું. શિબિરનો સમાપન યોગના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડી સૌને યોગને રોજિંદા જીવનમાં અપનાવવાનો સંદેશ આપી કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ