પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. 6 થી 10 એપ્રિલ સુધી 5 દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે પોરબંદરના માધવપુરમાં લગ્ન કર્યા હતા તેની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળાના સ્વરૂપમાં માધવપુર ખાતે ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે ગુજરાત સહિત દેશભરના 6,76,308 જેટલા શ્રદ્ધાળુઓ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. માધવપુર ખાતે દર રોજ સાંજે ગુજરાત તથા નોર્થ ઇસ્ટના કૂલ 1,685 કલાકારો દ્વારા દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો - 'અષ્ટલક્ષ્મી' માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. ગુજરાત અને નોર્થ ઈસ્ટની વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.માધવપુર ધેડ ખાતે ગુજરાતના 48 તથા નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના 152 સ્ટોલ્સ એમ કુલ 200 સ્ટોલમાં રૂ.1,23,75,904 ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. ઉપરાંત પારંપરિક લગ્ન બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણી નું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે 'એક ભારત શ્રેષ્ટ ભારત' થીમ આધારિત તેમજ શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના જીવન આધારિત થીમ પર ભવ્ય મલ્ટી મીડિયા શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.માધવપુર મેળા દરમિયાન 50 ફૂડ સ્ટોલ પૈકી 8 ફૂડ સ્ટોલ નોર્થ ઈસ્ટ રાજ્યોને ફાળવવામાં આવ્યા હતા. નાગરીકોએ નોર્થ ઈસ્ટના ભોજનનો સ્વાદ માણ્યો હતો.માધવપુર ખાતે આયોજિત ભવ્ય મેળાની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી. પાંચ દિવસીય મેળામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ત્રિપુરાના રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગજેન્દ્ર સિંહ શેખાવત, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા,જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ સહભાગી થયા હતા.આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં તા.1 એપ્રિલ, સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે 4,715 મુલાકાતીઓએ 400 થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલ કાર્યક્રમ નીહાળ્યો હતો. તા. 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 4387 મુલાકાતીઓ, તા. 3 એપ્રિલ અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયા ખાતે ખાતે 10,078 મુલાકાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. 40 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન NEHHDC ના સંકલનથી હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરાના 40 કરીગરો તથા ગુજરાતના 140 કારીગરોએ ભાગ લીધો હતો. આ હસ્તકલા હાટમાં કારીગરોએ રૂ. 21,70,075ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.માધવપુર મેળા દરમ્યાન માધવપુર, પોરબંદર, શિવરાજપુર તથા સોમનાથના દરિયાકાંઠે રેતી શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. મેળા દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં જૂડો, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, બીચ કબ્બડી, 100 મી. રન, 7A સાઈડ બીચ ફૂટબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. પ્રવાસન નિગમ દ્વારા દરેક સ્થળો ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમનીના વિવાહ આધારિત થીમ પર ટેમ્પરરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું આયોજન કરાયું હતું.આ મેળા દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોના ધારાસભ્ય, સાંસદ, સ્થાનિક હોદેદારો, કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya