
નવસારી , 19 એપ્રિલ (હિ.સ.)-નવસારી જિલ્લામાં
ખારેલ ખાતે આવેલ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ગુજરાત સરકાર અને
હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આસપાસના ગ્રામીણ વિસ્તારના વિવિધ ટ્રેડ્સમાં અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે ત્રણ દિવસ માટે ધ્યાન સત્રોનું આયોજન કરવામાં
આવ્યું હતું. વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં તણાવનું યોગ્ય પ્રબંધન કરી કૌશલ્ય
વર્ધન કરી નૈતિક મૂલ્યો આધારિત જીવન માટે
તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો અને
સ્વયંસેવકો દ્વારા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં આઇ.ટી.આઇ.માં જુદા જુદા
ટ્રેડ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ
શીખવવામાં આવી હતી. જેમા તેઓને આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ધ્યાન અને યોગનુ મહત્વ
સમજાવી એને દૈનિક ધોરણે અપનાવવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા. તેઓને ધ્યાનની સાથે
રિલેકસેશન, આંતરિક શુદ્ધિકરણ અને
પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને
નશામુક્તિ, બાયોચાર આધારિત ખેતી
પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને
બ્રાઇટર માઇન્ડ અંગે પણ સમજણ આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના
સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય સત્રોમાં 140 થી વધુ
વિદ્યાર્થીઓએ હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખી હતી. આ ધ્યાન સત્રોમાં સેન્ટરના
કોઓર્ડિનેટર શિવકુમાર પંજાબી ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના
પ્રશિક્ષકો નીતિબેન ચાવડા, ધર્મેશ પારેખ અને પ્રશાંત પારેખ દ્વારા તાલીમાર્થીઓને ત્રણ
સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે