પાટણ, 20 એપ્રિલ (હિ.સ.) રાધનપુર શહેરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ખુલ્લી ભૂગર્ભ ગટરોની સમસ્યા ગંભીર બની રહી છે. શિશુ મંદિર જવાના રસ્તા નજીક એક આખલો ખુલ્લી ગટરમાં પડી જતાં ગૌસેવકો અને સેવાભાવી યુવાનોની ટીમે મોટી મહેનત બાદ તેને બહાર કાઢ્યો હતો. આ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓની અવરજવર વધુ હોય છે અને રાત્રિ દરમિયાન પણ વાહનચાલકો અને રાહદારીઓ સતત પસાર થતા હોય છે.
ખુલ્લી ગટરોને કારણે છેલ્લા ઘણા વખતથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક રહીશો ભય અને અસુરક્ષાની ભાવનાથી પરેશાન છે. તેમણે આ પરિસ્થિતિ માટે નગરપાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને જણાવ્યું છે કે ભાજપનું શાસન હોવા છતાં આ સમસ્યા યથાવત છે.
નાગરિકો અને રખડતાં ઢોર વારંવાર આ ખુલ્લી ગટરોનો ભોગ બની રહ્યા છે. શહેરના વિકાસના દાવાઓ વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોની મજબૂત માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ખુલ્લી ગટરોને ઢાંકવામાં આવે જેથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર