વડોદરા, 1 જૂન (હિ.સ.)-વાડી તાઈવાડામાં જુના ઝઘડાની અદાવતને લઈને બે યુવકોના જૂથો વચ્ચે થયેલા અથડામણમાં ચારમાંથી દરેક પક્ષના બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચી બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાડી તાઈવાડામાં રહેતા ઈમરાન મહંમદભાઈ ખાનસાબ યમુના મિલ નજીક મસાલાની ફેક્ટરી ચલાવે છે. તેમનું કહેવું છે કે તેઓ ગઈકાલે સવારે 9:30 વાગ્યે ફેક્ટરીમાંથી ઘરે જતાં હતા ત્યારે ગાજરાવાડી પાણીની ટાંકી પાસે રહેતા અકરમ સબીરભાઈ તાઈએ મોટરસાયકલ રોકી ઝઘડો શરૂ કર્યો. અકરમે તેમને કહ્યું કે, “તું રોજ મારી સામે ખોટી ફરિયાદ કરે છે,” અને મારામારી કરવા લાગ્યો.
ઈમરાને તરત જ પોલીસને ફોન કરીને ઘટનાનું વિડિયો પણ ઉતારવાનો પ્રયાસ કર્યો. તેમનો આરોપ છે કે, અકરમના ભાઈએ તેમને પકડી રાખ્યા અને અકરમ, જીશાન તથા લિયાકત ત્રણેયે મળીને તેમને માર માર્યો. ઈમરાનનો ભાઈ ઈરફાન બચાવ કરવા આવ્યો ત્યારે તેને પણ ઇજા થઈ.
બીજી તરફ, અકરમ સબીરભાઈ તાઈએ પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમની રજૂઆત મુજબ, ઈમરાને તેમને ધમકી આપી હતી કે, આજે તને પતાવી દેશે. બાદમાં ઈમરાને મઝહરહુસેન કાલુભાઈ હાડકીવાળા તથા તેમના ભાઈને બોલાવી તેમને ઝપાઝપીમાં ઉલઝાવ્યો હતો. અકરમે આરોપ મૂક્યો છે કે મઝહરહુસેને તેમને ધમકી આપી હતી કે, “તારો ભાઈ જીશાનઅલી મારા કેસમાં સાક્ષી છે, જો તે મારી સામે જુબાની આપશે તો તેને મારી નાંખીશ.”
પાણીગેટ પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે