પાટણ, 11 જૂન (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમ માટે જીકાસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાનાં ત્રણ રાઉન્ડ પૂરાં થયા બાદ પણ 60,000 બેઠકો સામે માત્ર 14,888 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. પ્રથમ તબક્કામાં 31,000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, છતાં મોટા ભાગે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી, જેના કારણે હાલમાં 45,000થી વધુ બેઠકો ખાલી છે.
યુનિવર્સિટીએ 10 જૂને ચોથો રાઉન્ડ જાહેર કર્યો છે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ 11 અને 12 જૂને પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા 29 મેથી શરૂ થઈને 13 જૂન સુધી ચાલશે. 21 જૂને પ્રથમ મેરિટ, 25 જૂને બીજું મેરિટ તથા ત્યારબાદ ત્રીજું અને ચોથું મેરિટ જાહેર થશે.
પ્રવેશ સમન્વયક ડૉ. ધર્મેન્દ્ર ઠાકરે જણાવ્યું કે, ધોરણ 12નું મોડું પરિણામ અને જાગૃતિના અભાવે ઘણા વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામાં ફોર્મ ભર્યા નહોતા. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી રાઉન્ડમાં વધુ વિદ્યાર્થીઓ જોડાશે. કુલ આઠ રાઉન્ડ સુધી ચાલનારી પ્રવેશ પ્રક્રિયામાં અંતે 65થી 70 ટકા બેઠકો ભરાઈ જશે એવો અંદાજ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર