પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં નિરવ પાર્ક પાસેની સિંચાઈની કેનાલ પર વર્ષોથી કાચા-પાકા મકાનો અને ઝૂંપડપટ્ટીનું દબાણ છે. અગાઉ સ્થાનિક લોકોના વિરોધને કારણે દબાણ હટાવવાની કાર્યવાહી અટકી હતી. હાલમાં જિલ્લા કલેક્ટરના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ દબાણોને દૂર કરવાની સૂચના અપાઈ છે, જેના પગલે કાર્યવાહી શરૂ કરાઈ છે.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને દબાણકર્તાઓને આપવામાં આવેલા નળ જોડાણો અને વેરા રદ કરવાની માગણી કરી છે. પાટણ-ઊંઝા ત્રણ રસ્તાથી રોટલીયા હનુમાન મંદિર વચ્ચે, ખાસ કરીને ટ્રાયંગલ બિઝનેસ ક્લબ સામે હાંસાપુર વિસ્તારમાં દબાણ થયેલું છે. વિભાગે જણાવી છે કે દબાણ હટાવતી વખતે પાણીની પાઈપલાઈનમાં નુકસાન થવાની શક્યતા છે.
સિંચાઈ વિભાગે નગરપાલિકાને બે દિવસમાં તપાસ કરીને બિનકાયદેસર રહેવાસીઓના પાણી જોડાણ અને વેરા રદ કરવાની સૂચના આપી છે. હાલ નગરપાલિકા આ દબાણકર્તાઓને પાણી કનેક્શન આપી રહી છે અને વેરા પણ વસૂલ કરે છે. ટૂંક સમયમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર