ગીર સોમનાથ, 11 જૂન (હિ.સ.) દર વર્ષે ૧૪મી જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા “લોહી આપો, આશા આપો -- સાથે મળી જિંદગી બચાવીએ” થીમ પર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પીએચસી, સીએચસી, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને બ્લડ સેન્ટર ખાતે રક્તદાન ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રક્ત અને પ્લાઝમા દાનની મહત્વપૂર્ણ જરૂરિયાત અને દર્દીઓના જીવન પર તેમની અસર વિશે જાહેર જાગૃતિ ફેલાવવા, નવા અને હાલના દાતાઓને નિયમિતપણે રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે પૂરતા પ્રમાણમાં રક્ત પુરવઠો' સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. રક્તદાન દ્વારા અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર રક્તદાતાઓના સકારાત્મક પ્રભાવ પાડે છે. રક્તદાન દ્વારા એકતા, કરુણા અને સમુદાયના મૂલ્યોને પ્રોત્સાહન મળે છે.
રક્તદાતાઓની નોંધણીને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવા માટે તા.૧૪ જૂનના રોજ તમામ પી.એચ.સી, સી.એચ.સી., સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને બ્લડ સેન્ટર સાથે તમામ સરકારી કચેરી શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ ખાનગી હોસ્પિટલ ખાતે બ્લડ ગ્રુપ ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય નાગરિકોને તેમનું બ્લડ ગ્રુપ જાણવા મળશે અને તેના આકસ્મિક રક્તદાનના હેતુમાં પણ ઉપયોગ થશે.
આગામી તા.૧૪ થી ૨૪ જૂન સુધી વેરાવળ ખાતે રેડક્રોસ સોસાયટી, બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. તેમજ તા.૨૨, ૨૩ અને જૂનના કોડિનારના અંબુજા નગર ખાતે અને તા.૨૪ના તાલાલા તાલુકાના ધાવા ખાતે તેમજ તા.૨૬ના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વધુમાં વધુ લોકો સ્વૈછિક રક્તદાતાને મહત્વ આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અંગે શાળા, કોલેજો અને અન્ય સંસ્થાઓ, તાલુકા કચેરી અને ગ્રામ પંચાયતો ખાતે રક્તદાન જાગૃતિ અંગે શપથ લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ