પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ APMC હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 11 વર્ષના શાસનકાળ દરમિયાન પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ સમયગાળો 140 કરોડ દેશવાસીઓની સુખાકારી માટે સમર્પિત રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 81 કરોડથી વધુ લોકોને દર મહિને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે અને આ યોજનાથી 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળતા મળી છે. હર ઘર જલ યોજના હેઠળ 15 કરોડથી વધુ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય આપવામાં આવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા અંગે રજની પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દેશની મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે, જેમાં પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા હતા અને 100થી વધુ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર