પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદરના કોલીખડા ખાતે સુકાળા તળાવ વિકસાવવાના પ્રથમ તબક્કાના કામનો શુભારંભ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયો છે. મહાનગર પાલિકા દ્વારા 6.31 કરોડ રૂપિયાના ખર્ચે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી પર્યટક સ્થળ બનાવાશે.
માટી કાઢવાનું પ્રથમ તબક્કાનું કામ પૂરું થયા બાદ ચોમાસા પછી મહાનગરપાલિકાનું તંત્ર વિશેષ કામગીરી હાથ ધરશે. એક વર્ષમાં તળાવ વિકસાવવાનું કામ પૂરું થયા બાદ પોરબંદરવાસીઓ અને પર્યટકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ છે, અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અનેકવિધ વિકાસના
કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર નજીક આવેલ કોલીખડા ખાતે સુકાળા તળાવને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય કરવાનું આયોજન થયું છે.
પોરબંદર નજીકના કોલીખડા ગામ ખાતે આવેલ સુકાળા તળાવ 20,125 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે, અને આ તળાવ વિકસાવવાની પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી સામતભાઈ ઓડેદરા, અરશીભાઈ ખૂટી સહિતના આગેવાનો દ્વારા પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં તળાવમાંથી માટી ઉપાડી આ તળાવને ઊંડું ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તળાવને ઊંડું ઉતારાયા બાદ આ વિસ્તારને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં નયનરમ્ય બગીચાનું નિર્માણ કરવામાં આવશે. પાર્કિંગ, વોકિંગ, સ્ટ્રીટ લાઈટ, બટરફ્લાય ગાર્ડન, સીટિંગ એરિયા, ઓપન જીમ સહિતની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ પૂરું થયે ચોમાસા પછી મહાનગરપાલિકાનું તંત્ર પર્યટક સ્થળ બનાવવા માટે કામગીરી કરશે. અને અંદાજે એક વર્ષમાં સુકાળા તળાવને પર્યટક સ્થળ તરીકે બનાવવાની કામગીરી પૂરી થયા બાદ પોરબંદર વાસીઓને જ નહીં પરંતુ પર્યટકોને પણ સારી સુવિધા ઉપલબ્ધ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya