અંબાજી,13જુન
(હિ. સ) પાલનપુર એસટી વર્કશોપ ખાતે“બાળમજૂરી – વિનાશ તરફનો રસ્તો” થીમ હેઠળ બાળમજૂરી નિવારણ
દિવસની ઉજવણી કરાઈહતી આ કાર્યક્રમમાં એસટી
વર્કશોપના અંદાજે 120 કર્મચારીઓએ ઉપસ્થિત રહીને બાળમજૂરીના દૂષણ, તેની અસર અને તેના નિવારણ માટેની જવાબદારી વિષે વિસ્તૃત
માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમ્યાન પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટીના શ્રી
મેઘાબેન પંડ્યા દ્વારા બાળમજૂરીના કારણે બાળકોની અંદર થતી આત્મવિશ્વાસની હાનિ અને
ભવિષ્ય ઉપર થતી અસર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચિલ્ડ્રન હોમ અને અનાથ બાળકો માટેના નિવાસ
કેન્દ્રોની કાર્યપદ્ધતિ અંગે પણ ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં
જણાવાયું કે સામાન્ય જનતા પણ 1098 (ચાઇલ્ડ હેલ્પલાઇન), 181(અભયમ), તથા 100 (પોલીસ કંટ્રોલ રૂમ)
જેવા હેલ્પલાઇન નંબરો દ્વારા જરૂરી સહાય મેળવી શકે છે.
બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે
તારીખ 12 જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 1986માં બાળ મજૂરી
નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી 14 વર્ષના બાળકોને કોઈપણ
પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત 14 થી 18 વર્ષના
તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી
નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં આ અધિનિયમમાં
કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ 'બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ
અને નિયમન) અધિનિયમ' કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ