ગીર સોમનાથ 17 જૂન (હિ.સ.) ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ વી.સી.હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ ગ્રામ્યસ્તરથી લઈ શહેરી સ્તર સુધી યોગ દિવસની ઉજવણી સુનિયોજીત રીતે થાય તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરશ્રીએ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થાય અને તમામના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ વખતે 'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ'ની થીમ પર આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના રોજ સોમનાથ મંદિર પરિસર, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૬.૦૦ કલાકેથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લાની ઉજવણી સાથે જ તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેઇનરો દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યોગ દિવસના અનુસંધાને સોમનાથ ચોપાટી મેદાન ઉપરાંત આઇકોનિક સ્થળ, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ જેવા જિલ્લાના વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ડી.વાય.એસ.પી ખટાણા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિશાલ દિહોરા, જિલ્લા શિક્ષણાધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ