શ્રીનગર, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળો મંગળવારે ફરી ખુલ્યા. ઉદ્યાનો ફરી ખુલતા પ્રવાસીઓ અને સ્થાનિક મુલાકાતીઓએ સ્વાગત કર્યું હતું અને ઘણી જગ્યાએ ઉદ્યાનોમાં ભીડ જામી હતી. વિસ્તારોને સુરક્ષિત રાખવા અને સુરક્ષાની ભાવના બનાવવા માટે ઉદ્યાનોની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને મદદ કરવા માટે પ્રવાસી પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ગુલામ અહમદ મીરે પણ ઉદ્યાન ફરી ખુલવાનું સ્વાગત કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ, પહેલગામના બૈસરનમાં 26 લોકોની હત્યા બાદ બંધ કરાયેલા 16 ઉદ્યાનો, જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર ખીણમાં આઠ-આઠ, ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સ્થળો તબક્કાવાર ફરીથી ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં, કાશ્મીર ખીણમાં આઠ ઉદ્યાનો ફરીથી ખોલવામાં આવ્યા છે, જેમાં મંગળવારે બેતાબ ખીણ અને પહેલગામમાં પહેલગામ બજાર નજીકના ઉદ્યાનો, અનંતનાગ જિલ્લામાં વેરીનાગ, કોકરનાગ અને અછબલ બગીચા, શ્રીનગરમાં હઝરતબાલ નજીક બદામવારી પાર્ક, નિગીન નજીક ડક પાર્ક અને તકદીર પાર્કનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે, જમ્મુ ક્ષેત્રમાં આઠ સ્થળો પણ ફરીથી ખોલવામાં આવ્યા હતા, જેમાં કઠુઆમાં સાર્થલ અને ધાગર, દેવીપિંડીમાં, રિયાસીમાં સિયાદ બાબા અને સુલા ઉદ્યાનો, ડોડામાં ગુલદંડા અને જય ખીણ અને ઉધમપુરમાં પંચેરીનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પ્રખ્યાત ઉદ્યાન વેરીનાગમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું. પંજાબના એક પ્રવાસીએ કહ્યું, તે એક અદ્ભુત લાગણી અને અનુભવ છે. અમે સાંભળ્યું કે, આજે પાર્ક ફરી ખુલી રહ્યો છે, તેથી અમે આવ્યા. અમને જે સ્વાગત મળ્યું, તે ખરેખર શ્રેષ્ઠ અનુભવ છે, જે અમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. તેમણે પ્રવાસીઓને મોટી સંખ્યામાં કાશ્મીર આવવા અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ