પાટણ, 17 જૂન (હિ.સ.)હારીજ તાલુકાના રોડા ગામ નજીક શીતળા માતાના મંદિર પાસે સોમવારની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી સફેદ સ્વીફ્ટ ડિઝાયર કાર (નં. GJ-12-CD-2501)એ ભેંસ દોરીને જતા બે વ્યક્તિઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં દેસાઈ અજમલભાઈ શક્કરભાઈ (ઉ.વ. 55) અને દેસાઈ નાગજીભાઈ માડણભાઈ, બંને સુદ્રોસણ ગામના રહેવાસી હતા.
ટક્કર એટલી ગંભીર હતી કે અજમલભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ નાગજીભાઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ દુઃખદ અવસાન થયું હતું. વેજાવાડા ગામમાં આ અકસ્માતને લઈ શોકની લાગણી છવાઈ ગઈ છે.
અકસ્માત બાદ કાર ચાલક ગાડીને રોડા ગામની કેનાલ પાસે એકથી દોઢ કિલોમીટર દૂર મુકીને ફરાર થઈ ગયો હતો. મૃતક અજમલભાઈના પુત્રએ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપી ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર