અમદાવાદ, 21 જૂન (હિ.સ.) : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કરી 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનમાં સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લોટમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. આશરે 3658 ચો.મી. વિસ્તારમાં કુલ 4 બ્લોકમાં 380 જેટલા મોટા વડનું વાવેતર તથા 11420 ઇન્ડિજિનસ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરાશે.
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોને ઘરે જઈને વિનામૂલ્ય વૃક્ષારોપણ કરી આપશે. આ માટે AMC સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે. AMC દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે.
આ વૃક્ષારોપણ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરના ધારાસભ્યઓ અમિતભાઈ ઠાકર, હર્ષદભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ.ના ચેરમેનઓ, કાઉન્સિલરઓ તથા AMC ના કમિશનર બંછાનિધી પાની અને અધિકારીઓ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ