મોડાસા, 25 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૫ જૂન ૨૦૨૫ના રોજ સંવિધાન હત્યા દિવસ સંસ્મરણ કાર્યક્ર્મ સાંસદ શોભાનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ઓડિટોરિયમ હોલ સાબર ડેરી હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિગ્નેચર કેમ્પેઇમાં નાગરિકો જોડાયા હતા.
આ પ્રસંગે શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ એટલે સંવિધાન હત્યા દિવસ જેને આજે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. ભારત ના ઇતિહાસનો કાળો દિવસ છે. લોકશાહીની હત્યાનો આ દિવસ યાદ કરી આજ ની અને આવનારી પેઢી લોકશાહીના મહત્વને સમજી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે ધ્યાન રાખે તે જરૂરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આ દિવસે લોકશાહી મૂલ્યો પર પ્રહાર કરાયો, લોકશાહીને બંધક બનાવામાં આવી હતી. પ્રેસ સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાતો દેશ છે. આ સ્થિર વ્યવસ્થા નહિં, રાજકીય પ્રણાલી નહીં.. જીવંત પરંપરા છે. આ પ્રસંગે આ કટોકટીનો વિરોધ કરનાર શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા જણાવ્યું કે, લોકશાહીનો કાળો અધ્યાય એટલે કટોકટી. આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા જણાવ્યું હતું કે, વિશ્વનું સૌથી મોટું બંધારણ આપનાર બાબા સાહેબ આંબેડકર હતા. બંધારણ-સંવિધાનની હત્યા કરનાર આ કાળા દિવસની આલોચના કરવી જ રહી. આ સમયમાં દેશના મુખ્ય ચાર સ્થંભ વિધાનસભા, કારોબારી, ન્યાયપાલિકા, પત્રકારત્વ પર સરકારના નિયંત્રણ લદાયા હતા. આના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન, ગુજરાતમાં વિધાર્થી વિરોધ પ્રદર્શન થયા, મોટા મોટા લોક નેતાઓને કોઇ પણ કારણ વિના જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા, દેશમાં ખુબ જ અરાજકતા ફેલાઇ હતી. જેના વિરોધ આંદોલનમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ભૂમિકા ભજવી હતી. આજે સંપૂર્ણ રીતે લોકશાહીનું સંવર્ધન થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી લાઇવ જોડાઈ રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા હતા.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા સમાહર્તા શ્રી લલિત નારાયણ સિંઘ સાદું, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અગ્રણી કનુભાઈ પટેલ, વિજય પંડ્યા, સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, જેઠાભાઈ પટેલ, મહિલા અગ્રણી સુશ્રી કૌશલ્યા કુંવરબા, સાબર ડેરીના અધિકારીઓ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ