ગીર સોમનાથ, 25 જૂન (હિ.સ.) : આજથી બરાબર ૫૦ વર્ષ પહેલા દેશમાં લદાયેલી કટોકટી અને તેનાથી બંધારણ પર થયેલ કુઠારાઘાતને યાદ અપાવવા રાજ્યભરમાં ઉજવાઈ રહેલ ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી અંતર્ગત વેરાવળની મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે 'સંવિધાન હત્યા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ મણિબહેન કોટક હાઈસ્કૂલના પરિસરમાં રાખવામાં આવેલ કટોકટી દરમિયાનની યાદોના સ્મરણોનું પ્રદર્શન નિહાળી બંધારણની અવહેલના કરવાના અવસરની સમયઝાંખી નિહાળી હતી.
ઉલ્લેખનીય છે કે, આજથી ૫૦ વર્ષ પહેલાં એટલે કે ૧૨ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી તત્કાલીન સરકાર દ્વારા બંધારણીય કટોકટી લાદીને બંધારણીય અધિકારો પર તરાપ મારવામાં આવી હતી. અને અનેક મહાનુભાવો સહિતની ધરપકડ કરીને જેલને હવાલે કરવામાં આવ્યાં હતાં.
બંધારણના આવા હાલહવાલ કરવાના દુઃખદ અને યાતનામય સમયગાળાને આવનારી પેઢી યાદ કરે અને ભારતીય લોકશાહીમાં બંધારણીય મૂલ્યોનું શું મહત્વ છે, તેના વિશે જાણે તે માટે આજે કાયદાકિય નિષ્ણાંત તુલસીકુમાર શર્મા દ્વારા કટોકટીકાળની વેદના અને સંવેદના તેમના વક્તવ્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી.
શર્માએ કટોકટીકાળ અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ભારતની આઝાદી વખતે ડૉ.બી.આર.આંબેડકર અને તેમની ટીમ દ્વારા બંધારણમાં ક્યાંય પણ કચાશ ન રહે અને સાચાં અર્થમાં લોકશાહી જીવંત અને ધબકતી રહે તે પ્રકારનું દરેક બાબતોનું ચીવટભર્યું ધ્યાન રાખીને ભારતનું બંધારણ રચવામાં આવ્યું હતું. પરંતુ આ બંધારણની જ જોગવાઈઓનો દુરુપયોગ કરીને તત્કાલીન સરકારે દેશમાં કટોકટી લાદવાનું કાર્ય કર્યું હતું. આ કટોકટીથી દેશમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કેવી યાતનાઓ ભોગવવી પડી હતી તેનું તાદ્રશ્ય વર્ણન શર્માએ કર્યું હતું.
તુલસીકુમાર દ્વારા આ ઐતિહાસિક દિવસનું મહત્વ શું છે? કટોકટી શું હતી? બંધારણનું મહત્વ, કટોકટી અને તેની સમગ્ર ભારત દેશ પર દૂરોગામી અસરો શાબ્દિક રીતે રજૂ કરી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ આ અવસરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ અવસરે કટોકટીકાળ દરમિયાન ફિલ્મ પર પ્રતિબંધ, પત્રકાર ધરણાંઓ, નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાનો તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેંગોંગ અને બંધારણની પ્રતિકૃતિઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેને કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. મહાનુભાવો અને અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેઈનમાં સહી કરી હતી.
કટોકટીના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનું ઉપસ્થિત સર્વેએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અગ્રણી સંજયભાઈ પરમાર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ