ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) : કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાઓ ઉઠાવ્યા છે. તેમાનું એક પગલું શાળા-કોલેજમાં જતી કન્યાઓને પોતાના ઘરથી શાળા-કોલેજ જતી એસ.ટી.બસમાં મુસાફરી માટે મફત પાસની સુવિધા આપવામાં આવે છે. આનાથી શાળા-કોલેજમાં જતી કન્યાઓના માતા-પિતાને પરિવહનના ખર્ચમાંથી મૂક્તિ મળે છે.
આ જ રીતે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને પણ એસ.ટી. પાસમાં ૮૨.૫૦ ટકાની રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આવા પગલાને કારણે શાળા અને કોલેજોમાં ડ્રોપઆઉટનો રેશિયો મોટા પાયા પર ઘટાડી શકાયો છે.
રાહત દર પાસ યોજનાનો લાભ લઇને ગામડાઓમાંથી શહેર સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી શકે છે.
આ અંગે વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગામડામાંથી અભ્યાસ અર્થે શહેરમાં આવતી દીકરીઓને એસ.ટી.બસનો મફત પાસ કાઢી આપવામાં આવે છે. તે ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પાસમાં ૮૨.૫૦ ટકાની રાહત આપી તેમના રૂટ પ્રમાણેના ભાડાના માત્ર ૧૭.૫૦ ટકા જ ભાડુ વસુલવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, વેરાવળ એ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે. શાળા-કોલેજોની સંખ્યા વધારે હોવાથી અહીં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એસ.ટી.બસમાં અવર-જવર કરે છે. આ વિદ્યાર્થીઓને આવવા-જવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા એસ.ટી.બસ પાસ સુવિધા આપવામાં આવે છે. આ પાસ થકી તેમને આવવા-જવાના ભાડામાં રાહત મળે છે.
વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા છેલ્લા ૧ વર્ષમાં ૫૦૩ દિકરીઓને મફત પાસ કાઢી આપવામાં આવ્યાં છે. જેની રકમ ૩૨,૫૩,૩૧૧ રૂપિયા થાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ૧૭.૫૦ ટકા ભાડા વસુલમાં ૧,૭૮૪ પાસ કાઢી આપી ૧૦,૯૫,૪૧૯ રકમ મેળવી છે અને મુસાફરોને ૫૦ ટકા રાહત ભાડામાં ૩૬૨૪ પાસ કાઢી આપી ૪૭,૩૮,૭૩૦ રકમ મેળવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ બહાર પાડી છે. જેમાં ખાસ કરીને એસ.ટી.બસ પાસ સુવિધાનો પણ સમાવેશ થાય છે. ગામડામાંથી અપડાઉન કરતી દિકરીઓ માટે મફત પાસ યોજના શરૂ કરી છે. જેમાં ગામડાથી શહેરમાં અભ્યાસ અર્થે આવતી દિકરીઓને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો લાભ મળી રહ્યો છે. જેના કારણે અનેક કન્યાઓ શિક્ષિત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ