ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.)
શિક્ષણનો માર્ગ એટલે ઉજ્જવળ ભવિષ્ય...આ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના પ્રથમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ઉના તાલુકાના આમોદ્રા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
મંત્રીના હસ્તે આંગણવાડી અને બાલવાટીકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવીને ઉમળકાભેર સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. તેમજ ધો.૧ અને ધો.૯માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મંત્રીશ્રીએ નવા બાળકોને શાળાપ્રવેશ માટે અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ આપણી પાયાની મૂળભુત જરૂરિયાત છે. શિક્ષણના મૂળ તત્વોની કેળવણી થકી જ દેશનાં ઉત્તમ નાગરિકોનું ઘડતર થતું હોય છે. એકતા અને સમરસતાંના પાઠ બાળકો શાળામાંથી જ શીખે છે. કન્યા કેળવણીના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત છે. જેનો રાજ્યના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યાં છે.
સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગુજરાતના તમામ ગામોમાં ૧,૨૮,૦૦૦ સ્માર્ટ ક્લાસ, ૧૫,૦૦૦ થી વધુ કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ ૨૦ હજાર જેટલી સ્કૂલોનો સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને ઉત્તમ શિક્ષણ મેળવવામાં કોઈ જ અગવડતાં ન રહે.
ગુજરાતમાં ૮ કુમાર અને ૨ કન્યા એમ ૧૦ જેટલી સૈનિક શાળાઓ કાર્યરત છે. જેમાંથી ગ્રામ્ય સ્તરના વિદ્યાર્થીઓને પણ સંરક્ષણ દળમાં, નૌકાદળમાં દેશની સેવા કરવાની તક મળી શકે છે. એમ મંત્રીએ વધુમાં જણાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, આમોદ્રા ખાતે બાલવાટીકામાં ૧૩ કુમાર અને ૨૦ કન્યા, ધોરણ ૧ માં ૨૪ કુમાર, ૧૧ કન્યા તેમજ ધોરણ ૯માં ૧૦ કુમાર, ૨૬ કન્યા, ધોરણ ૧૧માં ૧૫ કુમાર, ૮ કન્યાએ શાળાપ્રવેશ કર્યો હતો.
મંત્રીશ્રીએ આમોદ્રા ખાતે સ્વાગત ગીત રજૂ કરનાર અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર વિદ્યાર્થીનીઓનું પ્રોત્સાહક સન્માન કર્યું હતું. જેને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટ સાથે સહર્ષ વધાવ્યું હતું.
આ અવસરે મહાનુભાવોના હસ્તે ધોરણ ૩ થી ૯ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, CET તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલમહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રવેશોત્સવમાં સર્વે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, આમોદ્રા સરપંચ પ્રિયંકાબહેન મોરી, આચાર્યઓ, અગ્રણી સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ