જૂનાગઢ, 26 જૂન (હિ.સ.)
ભારત સરકારના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM- KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને તથા રાજય સરકારશ્રીની કૃષિ વિભાગની તમામ યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. જેથી જૂનાગઢ જિલ્લાના બાકી રહેતા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા વહેલાસર પૂર્ણ કરાવવા કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જૂનાગઢ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભેંસાણ તાલુકામાં ૩૪૭૧, જૂનાગઢ ગ્રામ્ય તાલુકામાં ૨૧૫૨, જૂનાગઢ શહેર તાલુકામાં ૧૮૯, કેશોદ તાલુકામાં ૫૮૪૭, માળિયા હાટીના તાલુકામાં ૪૫૪૦, માણાવદર તાલુકામાં ૪૯૬૪, માંગરોળ તાલુકામાં ૫૭૬૯, મેંદરડા તાલુકામાં ૨૯૪૩, વંથળી તાલુકામાં ૩૩૭૩, વિસાવદર તાલુકામાં ૩૭૮૧૯ આટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન અત્યારે બાકી છે. જેથી લાગુ પડતા ખેડૂતોએ તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. કુલ ૩૭૮૧૯ જેટલા ખેડૂતોએ આ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે.
વધુ માહિતી મુજબ, ભેંસાણ તાલુકામાં ૧૨૬૩૭, જૂનાગઢ ગ્રામ્ય તાલુકામાં ૧૩૪૯૪, જૂનાગઢ શહેર તાલુકામાં ૬૩૮, કેશોદ તાલુકામાં ૨૦૪૫૪, માળિયા હાટીના તાલુકામાં ૧૯૯૭૪, માણાવદર તાલુકામાં ૧૬૫૨૮, માંગરોળ તાલુકામાં ૨૧૭૪૧, મેંદરડા તાલુકામાં ૯૯૯૫, વંથળી તાલુકામાં ૧૩૫૭૬, વિસાવદર તાલુકામાં ૧૮૪૮૦ આટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન અત્યારે હાલમાં થયેલું છે. કુલ ૧૪૭૫૧૭ ખેડૂતોએ રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવેલું છે.
જેમાં જિલ્લાના ખેડૂતોએ તાલુકા કક્ષાએ ખેડૂત નોંધણી માટે ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ નો સંપર્ક કરવાનો રહેશે. તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેથી ભવિષ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ટેકાના ભાવે ખરીદી, વિવિધ સહાય યોજનાઓમાં રજીસ્ટ્રેશન આધારિત લાભ ફરજિયાત થનાર હોય વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ