જુનાગઢ 26 જૂન (હિ.સ.)
ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઈબ્રિડ ટીકડી જાતના નાળિયેરના રોપાનું વેચાણ હાલમાં ચાલુ છે. તેથી જે ખેડૂત મિત્રોને નાળિયેરીના રોપાની જરૂરિયાત હોઈ તેઓએ બાગાયત અધિકારીશ્રીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ, પોરબંદર રોડ, માંગરોળ ખાતે રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.
દેશી નાળિયેર રોપ રૂ. ૧૦૦/ રોપ, હાઈબ્રિડ ટીકડી નાળિયેર રોપ રૂ. ૨૦૦/ રોપના ભાવે વહેલા તે પહેલાના ધોરણે રોપા આપવામાં આવશે. અત્રે વધુમાં જણાવવાનું કે, બાગાયત ખાતાની નર્સરી ખાતે ઉત્પાદિત થતા કલમ અથવા રોપા ઉપર ખેડૂતોએ ખરીદ કરેલ રોપાના નક્કી કરેલ ભાવના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫૦૦૦/- તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને ૭૫% અથવા મહત્તમ રૂપિયા ૭૫૦૦/- પ્રતિ લાભાર્થીની મર્યાદામાં એટસોર્સ સહાય રોપા ખરીદી સમયે જ મળવાપાત્ર થાય છે.
આ સહાય મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ૭- ૧૨, ૮- અ તેમજ આધારકાર્ડની નકલ રોપા ખરીદી સમયે સાથે લાવવાની રહેશે. ખેડૂત દ્વારા ઓછામાં ઓછા રૂ. ૨૦૦૦/- ના મૂલ્યના રોપાની ખરીદી કરે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે બાગાયત અધિકારીશ્રીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ, પોરબંદર રોડ, માંગરોળ, જૂનાગઢ ખાતે સંપર્ક સાધી શકાશે. ઉક્ત કચેરીના ફોન નંબર ૦૨૮૭૮- ૨૨૪૦૩૯ છે. તેમ બાગાયત અધિકારીશ્રી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, માંગરોળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ