જૂનાગઢ 26 જૂન (હિ.સ.)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ આવતીકાલે તારીખ ૨૬-૦૬-૨૦૨૫ ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ સમગ્ર કાર્યક્રમ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢના ચેરમેનશ્રી. જે.કે.ઠેસીયા અને અન્ય મુખ્ય મહેમાનોની પ્રેરક ઉપસ્થિતમાં બાગાયત મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના યજમાન પદે યોજાનાર છે. જેમાં કૃષિ યુનિવર્સિટીના વિવિધ અધિકારીશ્રીઓ, વિવિધ કોલેજના આચાર્યઓ અને ડીનશ્રીઓ, પોલીટેકનીકના આચાર્યઓ હાજર રહેશે.
આ ઉપરાંત વિવિધ પોલીટેકનીકો જેમ કે બાગાયત પોલીટેકનીક- જૂનાગઢ, એગ્રીકલ્ચર પોલીટેકનીક- સીદસર, એગ્રો પ્રોસેસીંગ- જૂનાગઢ, એગ્રીકલ્ચર પોલીટેકનીક- ધારી, એગ્રીકલ્ચર પોલીટેકનીક- હળવદ અને એગ્રી. એન્જીનીયરીંગ પોલીટેકનીક- તરઘડિયાના કુલ ૧૪૮ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમ ડો.એન.બી.જાદવ, ડિરેકટરશ્રી એક્સટેંશન એજ્યુકેશન, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ