વલસાડ, 26 જૂન (હિ.સ.)- સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૬મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં માંજરી પ્રાથમિક શાળા અને સીમખાડી પ્રાથમિક શાળામાં નગરપાલિકા વહીવટી કમિશનર અને વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહન (IAS)ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. નવી શિક્ષણનિતી મુજબ ૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. જે પૈકી કપરાડા તાલુકાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૭, બાલવાટિકામાં ૧૩ અને પહેલા ધોરણમાં ૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કપરાડા તાલુકાની આ બંને પ્રાથમિક શાળાઓમાં આંગણવાડીમાં ૪ કુમાર અને ૫ કન્યા, બાલવાટિકામાં ૫ કુમાર અને ૮ કન્યા તેમજ ધોરણ-૧ માં ૧ કુમાર અને ૨ કન્યા મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રભારી સચિવ ડાયરેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનું શુભ કાર્ય દ્વારા સુંદર વાતાવરણમાં નાના બાળકોને પ્રવેશ આપ્યો છે. પહેલા એવું હતું કે સારા કામો માત્ર શહેરોમાં જ થાય છે પરંતુ હવે એવું રહ્યું નથી. કપરાડાના અંતરિયાળ ગામોમાં પણ પ્રગતિ થઈ રહી છે. શિક્ષકોએ બાળકોના આંતરિક કૌશલ્યને ઉજાગર કરવા સતત પ્રયત્નો કરવા જોઈએ. પ્રવેશ મેળવતા દરેક બાળકોને શાળાના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવું છું.
કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તારલાઓ, એકમ કસોટી, વાર્ષિક કસોટી તેમજ જ્ઞાન સાધનામાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવએ શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ ટંડેલ, સરપંચ રમીલાબેન ધુળે, બી આર સી સંજયભાઈ મકવાણા, પ્રાથમિક શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે