નવસારી જિલ્લામાં મુનસાડ પ્રાથમિક ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
નવસારી, 26 જૂન (હિ.સ.)- શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શૃંખલાના ભાગરૂપ આજથી નવસારી જિલ્લા સહિત સમગ્ર
નવસારી


નવસારી, 26 જૂન (હિ.સ.)- શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ શૃંખલાના ભાગરૂપ આજથી નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫-૨૬’ની ઉજવણી “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી તાલુકાની મુનસાડ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા એક આદર્શ વિદ્યાર્થી બનવા સહિત એક આદર્શ નાગરિક બનીએ અને સમાજના ઉત્થાનમા સહભાગી થવાની સમજ કેળવી હતી. કલેક્ટરએ બાળકોને પોતાની શાળા સહિત ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા,પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને વૃક્ષોને જતન કરવા પ્રેરિત કર્યા હતા.

તેમણે શિક્ષકોને ખાસ અનુલક્ષીને જણાવ્યું હતું કે, શાળામાં માળખાકિય સુવિધા સહિત શિક્ષણની ગુણવત્તા જળવાઇ રહે તેની આપણે સૌએ તકેદારી રાખવી જોઇએ. તેમણે શિક્ષકોને ખાસ કરીને બાળકોને જ્ઞાતિ, જાતિ કે કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સમભાવ રાખી શિક્ષણ આપવા તથા શિક્ષણ સહિત સંસ્કારોના સિંચન કરવા માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિત ગ્રામજનોને પારીવારીક જવાબદારીઓમાં એકબીજા સાથે મિત્રભાવ કેળવી સમાજને આગળ વધવામાં સહયોગ કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટરના હસ્તે શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે શાળામાં બાળવાટીકાના નવા ઓરડાનુ ઉદધાટન પણ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું.

નોંધનિય છે કે, મુનસાડ પ્રાથમિક શાળા ખાતે બાલવાટીકાના ૦૬ કુમાર, ૦૮ કન્યા મળી કુલ-૧૪ બાળકો, ધોરણ-૦૧માં ૧૪ કુમાર, ૧૪ કન્યા મળી કુલ-૨૮ બાળકો અને આંગણવાડીના ૦૩ કુમાર, ૦૬ કન્યાઓ મળી કુલ-૦૯ બાળકો શાળા પ્રવેશ કરાવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે યોગાસન અભ્યાસ અને ટ્રાફિકના નિયમન અંગે પ્રતિજ્ઞા લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 'બેટી બચાઓ, બેટી પઢાઓ' તથા 'પર્યાવરણ જાગૃતિ' વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું.

અંતે શાળાના આચાર્ય જિગરભાઇ ટંડેલએ કલેક્ટરને શાળા કેમ્પસની મુલાકાત કરાવી હતી. કલેક્ટરએ શાળામાં મધ્યાહન ભોજન, બેઠક વ્યવસ્થા, લાઇબ્રેરી, ઓરડા, બાળકોની હાજરી, શિક્ષકોની હાજરી જેવી વિવિધ બાબતોનું નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા.

આ પ્રસંગે શિક્ષકગણ, શાળાના એસએમસી કમીટીના સભ્યો, અન્ય વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande