ગાંધીનગર, 26 જૂન (હિ.સ.) : “હું અત્યારે નર્સિંગના છેલ્લા વર્ષમાં છું. નર્સિંગ બાદ વિદેશમાં કામ કરવાની ઘણી તકો હોય છે. પણ મોદી સાહેબને જોયા ત્યારથી રાજકીય ક્ષેત્રમાં રસ પડવા લાગ્યો હતો. હવે ગ્રામજનોના આશીર્વાદથી મને સેવાની આ તક મળી છે તો અમારા ગામને વધુ વિકસિત કરવા માટે કામ કરીશ.”_ આ શબ્દો છે, મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના નવા ચૂંટાયેલાં સરપંચ ખુશાલીબેન કાનજીભાઈ રબારીના. 24 વર્ષીય ખુશાલીબેને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં 1320ની જંગી લીડથી જીત મેળવી છે. હવે તેઓ ગામમાં પાયાની સુવિધાઓમાં વધારો કરીને તેમજ અન્ય વિકાસકાર્યોથી ગ્રામજનોની સેવા કરવા માટે તત્પર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમના ખુશાલીબેન સાક્ષી રહ્યાં છે. વર્ષ 2006માં તેમણે આ કાર્યક્રમ અંતર્ગત ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેઓ સરપંચ તરીકે 27 જૂન, 2025ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગામના બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે!
મોદી સાહેબને જોઇને થયું કે નેતૃત્વ કરવું જોઇએ
ખુશાલીબેન અત્યારે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (એસ.કે. યુનિવર્સિટી)માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. નર્સિંગ બાદ વિદેશમાં નોકરીની વધારે તકો હોવાથી તેઓ વિદેશ જવા વિશે પણ વિચારી રહ્યાં હતા. પણ સમયાંતરે તેમનો ઝુકાવ નેતૃત્વ તરફ થવા લાગ્યો. રાજકીય ક્ષેત્રે તેઓ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી પ્રેરણા લઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, “ _મેં ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોયા હતા. તેમના નેતૃત્વથી પ્રેરણા મળે છે અને તેમના લીધે મને પણ નેતૃત્વ કરવામાં રસ પડ્યો. હવે ગામમાં રોડ, રસ્તા અને વિકાસના અન્ય કાર્યોથી લોકોની સેવા કરવાની ઇચ્છા છે. જે પણ નાની-મોટી સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે અમે કામ કરીશું.”
ખુશાલીબેનના પરિવારમાં તેમના માતા-પિતા સહિત બે નાના ભાઇઓ છે. નાની ઉંમરે તેમને સરપંચ પદની જવાબદારી મળવાથી પરિવારજનો અને તેમના મિત્રોમાં ખુશી અને ગૌરવની લાગણી છે. તેમની આ સફળતા ગામની મહિલાઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ