વલસાડ, 1 જુલાઈ (હિ.સ.)- વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાં ઔષધ નિરીક્ષકોની તપાસના આધારે છેલ્લા છ માસમાં કુલ 87 મેડિકલ સ્ટોરના પરવાના સ્થગિત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર દવાની દુકાનોમાં મુખ્યત્વે નીચે મુજબની ખામીઓ જોવા મળી હતી. (1) દવાની દુકાનોમાં રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ, (2) વેચાણબીલ બનાવ્યા વગર દવાઓનું વેચાણ, (3) માન્ય ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટીક દવાઓનું વેચાણ (4) અમુક દવાની દુકાનોમાં ફ્રીઝ બંધ હતા અથવા તો ફ્રિજમાં યોગ્ય ઠંડક ન હતી. ઠંડકમાં રાખવાની દવાઓ માટે ફ્રીઝ જરૂરી છે. જો દવાઓને યોગ્ય ઠંડકમાં ન રાખવામાં આવે તો તેની ગુણવત્તાને અસર થઇ શકે છે અને (5) સિડ્યુલ- એચ- 1માં સમાવિષ્ટ દવાઓના વેચાણ બાદ અલગથી તેના રજીસ્ટર નિભાવ્યા ન હતા. આવી ઘણી ખામીઓ જોવા મળતા વલસાડ જિલ્લામાં છેલ્લા છ માસમાં કુલ 87 દવાની દુકાનોને નોટીસ પાઠવી પરવાનાઓ સ્થગિત કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વલસાડ જિલ્લાના મદદનીશ કમિશનરએ જણાવ્યું કે, આવી રીતે ચાલતી જિલ્લાની અન્ય મેડિકલ સ્ટોરોમાં પણ સમયાંતરે વધુ તપાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે