આઈએએસ નેહા બ્યાડવાલ પ્રોબેશનમાં પ્રથમ ભરૂચમાં સેવા બજાવી રહ્યા છે
બ્યુટી વિથ બ્રેઇનની સંઘર્ષ અને સફળતાની રોચક સફર છે
3 વર્ષ સુધી યુપીએસસીની તૈયારીમાં મોબાઈલ અને સોશ્યલ મીડિયા ટાળવાનો નિર્ણયથી બન્યા સફળ
પિતા સરકારી અધિકારી હોવાથી બદલીઓ થતા ઘણી શાળા અને કોલેજો બદલાય
ભરૂચ 1 જુલાઈ (હિ.સ.) આજે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા ખરેખર ઓક્સિજન જેવા બની ગયા છે. જેના વિના આપણે આ આધુનિક યુગમા રોજિંદા જીવનની કલ્પના પણ કરી શકતા નથી.બીજી બાજુ આધુનિક ટેકનોલોજીના આ અજાયબીઓ મોટા વિક્ષેપો પણ સાબિત થઈ શકે છે, જે આપણને આપણી કારકિર્દી અને જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં રોકે છે.
દેશના સૌથી યુવા આઈએએસ નેહા બ્યાડવાલને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે તેમણે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા સીએસઈમાં પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયા. દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક એવા આગામી પ્રયાસની તૈયારી કરતી વખતે તેમણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું અને 3 વર્ષ સુધી મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હતું.
રાજસ્થાનના જયપુરમાં જન્મેલા, પરંતુ છત્તીસગઢમાં ઉછરેલા, નેહા બ્યાડવાલનું શાળાકીય શિક્ષણ જયપુરમાં શરૂ થયું અને પછીથી તે ભોપાલની કિડઝી હાઇસ્કૂલમાં ગયા. તેમના પિતાની સરકારી નોકરીના કારણે IAS નેહાને વારંવાર શાળા બદલવી પડતી હતી અને તેમણે DPS કોરબા અને પછી છત્તીસગઢના DPS બિલાસપુરમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તેઓના પિતા શ્રવણ કુમાર એક વરિષ્ઠ આવકવેરા અધિકારી છે, અને દેશ અને તેના લોકો પ્રત્યેની તેમની સેવાએ તેમને IAS અધિકારી બનવા માટે પ્રેરણા આપી છે. શરૂઆતના શિક્ષણ પછી, નેહા બ્યાડવાલ રાયપુરની ડીબી ગર્લ્સ કોલેજમાં જોડાયા અને બાદમાં યુનિવર્સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા હતા.
શિક્ષણ પૂર્ણ કર્યા પછી નેહા બ્યાડવાલે UPSC CSE માટે તૈયારી શરૂ કરી જોકે સફળતાનો માર્ગ અનેક અડચણોથી ભરેલો રહ્યો હતો કારણ કે તે તેમના પહેલા ત્રણ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી શકયા નહી.તેમના પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગયા પછી તેમને સમજાયું કે, સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોનનો ઉપયોગ તેમને ખંતપૂર્વક અભ્યાસ કરવાથી વિચલિત કરી રહ્યો છે. તેથી તેમણે લગભગ 3 વર્ષ સુધી UPSC ની તૈયારી દરમિયાન આ મોબાઈલ અને સોશ્યલ મીડિયા ટાળવાનો નિર્ણય લીધો હતો.
આ સમયગાળા દરમિયાન પોતાનો પૂરો સમય સિવિલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારીમાં સમર્પિત કર્યો અને મિત્રો અને સંબંધીઓથી પણ દૂર થઈ ગયા હતા.
નેહા બ્યાડવાલ UPSC CSE ની તૈયારી કરતી વખતે ઘણી વખત સ્ટાફ સિલેક્શન કમિશન SSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહી, પરંતુ તેમનું અંતિમ લક્ષ્ય IAS અધિકારી બનવાનું હોવાથી તેમણે સરકારી નોકરીમાં ન જોડાવાનું નક્કી કર્યું હતું. જોકે, આ રસ્તો તેમની કલ્પના કરતાં વધુ મુશ્કેલ સાબિત થયો હતો કારણ કે તેના પહેલા ત્રણ પ્રયાસોમાં CSE પાસ કરવામાં નિષ્ફળ ગયા હતા.
આખરે, અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી અને પોતાના સામાજિક જીવનનું બલિદાન આપ્યા પછી, નેહા બ્યાડવાલની સખત મહેનત અને ખંત રંગ લાવી હતી ચોથા પ્રયાસમાં UPSC CSE પાસ કર્યું, 569 નો ઓલ ઈન્ડિયા રેન્ક AIR મેળવ્યો, અને અંતે IAS અધિકારી બનવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું તે સમયે તેમની વય ફક્ત 24 વર્ષની હતી.
IAS નેહાએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા હતા જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે. યુપીએસસીની સફળતા પછી નેહા બ્યાડવાલ સોશિયલ મીડિયા પર એક પ્રકારના સેલિબ્રિટી બની ગયા છે. અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 99000 થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. જ્યાં તેઓ ઘણીવાર UPSC ઉમેદવારોને મુશ્કેલ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે ટીપ્સ આપે છે. હાલ તેઓની પ્રોબેશનર કલેકટર તરીકે ભરૂચમાં નિમણુંક અપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ