ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલા છે.
જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ બોટ માલીક દ્વારા ટંડેલને જયારે કામે રાખવામાં આવે તે પહેલા તેનું પોલીસ વેરીફિકેશન કરાવવા માટે તેમને જે તે પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે અને પોલીસ વેરીફિકેશન થયા બાદ જ તેમને કામે રાખવાના રહેશે.
જે-તે પોલીસ સ્ટેશને આવા ટંડેલની તમામ હકીકત અંગે યોગ્ય અને પૂરતી ચકાસણી કરવાની રહેશે. આ જાહેરનામું તારીખ ૧૩/૦૭/૨૦૨૫ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ