પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.)ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ સરકાર તરફથી પ્રશ્નોના કોઈ સમાધાન આવ્યું નથી. માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ ઠોસ પગલાં લેવાયા નથી.
આવેદનપત્ર અનુસાર, 12-13 જુલાઈ, 2025ના રોજ ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યસમિતિમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ, રાજ્યભરની આંગણવાડી બહેનો પોતાના હક્ક માટે 4 ઑગસ્ટ, 2025ના રોજ સોમવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં એકઠી થશે. આ સમયગાળા દરમિયાન રેલી અને જાહેર સભાનું આયોજન પણ થશે.
મહાસંઘે આવેદનપત્રમાં આંગણવાડી કર્મચારીઓના વિવિધ નિર્ણાયક પ્રશ્નો રજૂ કરીને તેમનો યોગ્ય ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા સરકારને વિનંતી કરી છે. આંગણવાડી બહેનો હવે એકજૂટ થઈને પોતાના હક્ક માટે સત્યાગ્રહના માર્ગે આગળ વધશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર