પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈગામડા ગામમાં સતત ભારે વરસાદના કારણે ગામને જોડતા મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે. દૈગામડાને પરસુંદ અને સાણસરા ગામો સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે નેશનલ હાઈવે-27 સાથે જોડતો માર્ગ પણ લગભગ 3 કિલોમીટર સુધી પાણીમાં ડૂબી ગયો છે.
આ ભારે વરસાદના કારણે ગામમાં અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. સ્થાનિક રહીશો આરોગ્યસેવા અને રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે.
ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી ઊભા પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ