
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.): આગામી તા.26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી માંડવી તાલુકા મથકે થનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીના હસ્તે સોમવારે સવારે 9:00 વાગે ધ્વજવંદન સમારોહ યોજાશે. મંત્રી પરેડનું નિરીક્ષણ કરીને લોકોનું અભિવાદન ઝીલીને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાની આપલે કરશે.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે થનાર છે, ત્યારે મેદાનની સફાઈ, સજાવટ અને સુરક્ષા વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને સલામી, પોલીસ દળ, NCC કેડેટ્સ અને હોમગાર્ડ્સ દ્વારા પરેડની રિહર્સલ, ટેબ્લો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ પ્રજાસત્તાક પર્વમાં વધુમાં વધુ નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં જોડાય તે માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુન પરેડ તથા ટેબ્લોનું નિદર્શન યોજાશે.
તદ્દઉપરાંત વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારી-કર્મયોગીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે. સાથે-સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકોને મોટી સંખ્યામાં ભાગીદાર બનવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે. બેઠકમાં સરકારી વિભાગોને સંકલન સાધીને સમયસર તમામ તૈયારીઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે